♠ આપણી સંજીવની - પંચતંત્ર ♠


રાજચિકિત્સક બુઝોઇ નવી નવી ઔષધિઓ પર સંશોધન કરતા હતા અને ઔષધશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર વિશે લખાયેલા ગ્રંથોનો ઊંડો અભ્યાસ
કરતા હતા. એકવાર ઇરાનના બાદશાહ ખુસરોના આ રાજચિકિત્સક બુઝોઇએ એવું વાંચ્યું કે ભારતમાં દ્રોણાચલ પર્વત પર સંજીવની નામની ઔષધિ છે, જે મૃત વ્યક્તિને જીવતી કરી દે છે. વળી જો સ્વસ્થ વ્યક્તિ એ ઔષધિનું સેવન કરે, તો હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે છે. આ વાંચીને બુઝોઈ રોમાંચિત થઇ ગયા અને બાદશાહ ખુસરોની અનુમતિ લઇને ભારતમાં આવીને સંજીવની ઔષધિની શોધ શરૃ કરી. કેટલાય જંગલો અને પર્વતો ઘૂમી વળ્યા, પણ ક્યાંય એ સંજીવની મળી નહીં.

એક દિવસ એક વૃક્ષના છાંયડામાં આરામ કરતા હતા, ત્યારે એક પંડિતજી ત્યાં આવ્યા અને
બુઝોઇને જોઇને પૂછ્યું, 'આપના દેખાવ પરથી આપ પરદેશી લાગો છો ? કયા દેશમાંથી આવો છો અને શા કારણે આવ્યા છો ?'

બુઝોઈએ કહ્યું, 'હું ઇરાન દેશના રાજા ખુસરોનો રાજચિકિત્સક છું અને મેં સાંભળ્યું છે કે આ દેશમાં થતી સંજીવની જડીબુટ્ટી અમૃત સમાન છે, પરંતુ એ જડીબુટ્ટીની મેં ઘણી શોધ કરી, પણ એ ક્યાંય મળી નહીં.'

આ સાંભળીને પંડિતજીએ હસતા- હસતા કહ્યું, 'અરે પ્રધાનમંત્રી, એ સંજીવની ઔષધિ તો માત્ર હનુમાનજી જ શોધી શક્યા હતા, આજે એ સંજીવની ઔષધિ ન મળે, પરંતુ તમને અમૃત જરૃર મળે. અમારે ત્યાં અમૃત સમાન 'પંચતંત્ર' નામક ગ્રંથ છે. એ ગ્રંથને યોગ્ય રીતે સમજે અને આચરે, તો એને અમૃત પ્રાપ્ત થાય છે. એનું જીવન અમૃતમય બને છે અને એ જીવે છે ત્યાં સુધી સકારાત્મક વિચારોથી સમૃધ્ધ રહે છે.'

બુઝોઈ પંડિતજીથી પ્રભાવિત થયા અને સંજીવની ઔષધિને બદલે અમૃત સમાન 'પંચતંત્ર'ની એક પ્રત લઇને સ્વદેશ પાછા ફર્યા.