♠ શિક્ષા - આત્મસમૃદ્ધિનો માર્ગ ♠

ગ્રીક-રોમન કાળનાં પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી યૂક્લિડે (ઇ.સ.પૂર્વે ૩૨૩ થી ઇ.સ. પૂર્વે ૨૮૩) ભૂમિતિ અંગેના 'એલિમેન્ટ્સ' ગ્રંથની રચના કરી.

'એલિમેન્ટ્સ'નું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું અને એની અનેક આવૃત્તિઓ પ્રગટ થઇ. બાઇબલ
પછી સૌથી વધારે વંચાતા ગ્રંથ તરીકે 'એલિમેન્ટ્સ' સ્થાન પામે છે. આવા પ્રખર ગણિતજ્ઞ યુક્લિડને પોતાના અગાધ જ્ઞાાનનો લેશમાત્ર ગર્વ નહોતો.
કોઇપણ જિજ્ઞાાસુ એમની પાસે આવીને અભ્યાસ કરી શકતો અને એને પરિણામે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમની પાસે ભૂમિતિ શીખવા આવતા. ઘણીવાર પોતાનું અંગત કામ છોડીને પણ વિદ્યાર્થીઓને શીખવવામાં મશગૂલ રહેતા.

એક દિવસ એક યુવકે આવીને યૂક્લિડ પાસે
ભૂમિતિનો અભ્યાસ કરવાની જિજ્ઞાાસા પ્રગટ કરી અને યૂક્લિડે એની વાતનો સહજ સ્વીકાર કર્યો. આ પ્રતિભાશાળી યુવક ખૂબ ઝડપથી અભ્યાસમાં આગળ વધવા લાગ્યો અને યૂક્લિડ પણ એના પર પ્રસન્ન થયા હતા.

એકવાર યૂક્લિડ એને પ્રમેય ભણાવી રહ્યા હતા અને એ યુવકે એકાએક પ્રશ્ન કર્યો.

'આ પ્રમેય ભણવાથી મને શું લાભ થશે ?'

આ પ્રશ્નથી નારાજ થયેલા યૂક્લિડે એના નોકરને કહ્યું, 'આને એક ઓબેલ (ગ્રીસનો સિક્કો) આપી દો. એને વિદ્યા પ્રાપ્ત કરવા કરતાં ય ધન કમાવામાં વધુ રુચિ છે. આથી એને માટે સઘળો અભ્યાસ નિરર્થક છે.'

ગણિતજ્ઞાની આ વાત સાંભળીને બીજા વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા. એ યુવાને યૂક્લિડની ક્ષમા માગી.

યૂક્લિડે કહ્યું, 'શિક્ષા આત્મસમૃદ્ધિનો માર્ગ છે.
એને ક્યારેય ભૌતિક લાભના ત્રાજવે તોળવાની ન હોય. એ તો જ્યાંથી જેટલી મળે, એને આત્મીયતાથી ગ્રહણ કરવાની હોય.'