♠ દુ:ખીયાનો બેલી - સીસો ♠

ઇટાલીના અસીસી પ્રાંતમાં વસતા એક ધનિક વેપારીના પુત્ર સીસોનું મન દુનિયાના દુઃખો દ્રવી જતું હતું. બીજા બાળકો જ્યારે ખેલકૂદમાં આનંદ
માણતા હોય, ત્યારે સીસોને બીજા લોકોની પીડા અને દુઃખને જોઇને વેદના થતી હતી. એનામાં દીન- દુખિયા પ્રત્યે એવી પ્રબળ કરુણા હતી કે
એને જોઇને એમને મદદ કર્યા વિના રહી શકતો નહી.

એકવાર રસ્તા પર રક્તપિત્તગ્રસ્ત ભિખારીને ભીખ માગતો જોયો અને ધનવાન પિતાના પુત્ર સીસોએ એને થોડાં પૈસા આપ્યા. પરંતુ એ રક્તપિત્તની બિમારી ધરાવતો માનવી સીસો તરફ વેધક નજરે જોઇ રહ્યો.

સીસો એની આંખના ભાવો વાંચીને પારખી ગયો કે આને પૈસા કરતાં વધુ તો પ્રેમ અને સેવાસુશ્રૂષાની જરૃર છે. સીસો એની સેવામાં ડૂબી ગયો.

એના ધનવાન પિતાએ એને કહ્યું કે, 'આપણો આટલો બહોળો વેપાર છે, તું વેપારમાં ધ્યાન આપ.'

ત્યારે સીસાએ એના પિતાને કહ્યું કે, 'મારે માટે કોઇ વેપાર હોય કે જીવન હોય તો તે ગરીબ અને બિમારની સેવા કરવાનું છે.'

અને સીસોએ ગરીબોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું. એ રક્તપિત્ત ધરાવતા લોકોની સેવા કરતો એટલું જ નહી, પરંતુ એમને અગાધ સ્નેહ આપીને
એમનામાં જીવવાની નવી તમન્ના પેદા કરતો હતો.

એકવાર એણે ચર્ચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં માત્ર ગરીબ અને દુઃખી લોકોને જ સામેલ કર્યા. બધાએ ભેગા મળીને પથ્થર એકઠાં કર્યા. પણ સીસોના આ સેવાકાર્યની સુવાસ સઘળે
પ્રસરી ગઇ અને એના મિત્રોએ સેવા અને નિર્માણ માટે એક સંગઠન 'ધ પુઅર બ્રધર્સ ઓફ અસીસી' શરૂ કર્યું. સમયની સાથે એ સંગઠનમાં વધુને વધુ
લોકો જોડાતા ગયા અને થોડા સયમ બાદ એ સંગઠનનું નામ 'ફ્રાંસિસ્કોપ' રાખવામાં આવ્યું.

રક્તપિત્તની સેવા કરનાર સીસો માત્ર તેંતાલીસ વર્ષની વયે અવસાન પામ્યો, પરંતુ એનું સેવાભાવી લોકોનું આ સંગઠન આજે દીન-દુખિયાઓનો સહારો બની રહ્યું છે અને સીસોને 'સેંટ ફ્રાન્સિસ ઓફ અસીસી'ના રૂપે સહુ યાદ કરે છે.