♦ ચોવીસ કલાકે ♦

એક વૃદ્ધ મરણ પથારી ઉપર હતા.તેમણે પોતાના પુત્રને પોતાની પાસે બોલાવ્યો. પછી વૃદ્ધે કહ્યું, "બેટા,મારા પુરા જીવન દરમિયાન હું ગરીબ રહ્યો.તારી પાછળ મૂકી જવા માટે મારી પાસે કાંઈ મૂડી નથી પણ તારા દાદાએ મને જે આપ્યું હતું તે આજે હું તને આપતો જાઉ છું. જિંદગીભર તું તેને
સાચવજે. જયારે તને ક્રોધ ચડે ત્યારે ચોવીસ કલાક પહેલા તું તેનો જવાબ વાળતો નહીં.ચોવીસ કલાક વીત્યા બાદ તું જવાબ આપી શકે. બસ આટલી 'મૂડી' હું તને વારસામાં આપતો જાઉ છું." 

પિતાજીએ આપેલી 'મૂડી' દીકરાએ તે જીવ્યો ત્યાં સુધી સાચવી.આથી તે ઘણું કમાયો. તેને જીવનમાં ઘણાં અપમાન સહન કરવા પડયા. ક્રોધ ચડે એવા અનેક સંજોગો વારંવાર ઉભા થયા પણ પિતાના વચનો યાદ રાખી પુત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. સામી વ્યકિતને તે શાંતિથી કહેતો કે, "આનો જવાબ હું તમને ચોવીસ કલાક
બાદ આપીશ." 

ચોવીસ કલાક બાદ એના મનમાં પેદા થયેલા રોષ, વેરની ભાવના ઈત્યાદિ આપમેળે ઓગળી જતાં. પછી તો એ આખો પ્રસંગ એને એટલો તો નજીવો લાગતો કે અપમાનનો બદલો વાળવા તે પાછો પેલી વ્યકિત આગળ કદી જતો નહી. આમ કરતાં તેના હૃદયમાંથી બધો ક્રોધ અદૃશ્ય થયો. તેનું હૃદય સ્વચ્છ બની ગયું. આ છોકરો મોટો થતા મહાન વિચારક જ્યોર્જ ગુર્જિયેફ નામે ખ્યાતિ પામ્યો.