♦ પ્રામાણિકતાનો પુરસ્કાર ♦

પ્રજાપ્રિય રાજવીએ જોયું કે એના રાજ્યમાં સર્વત્ર ભ્રષ્ટાચાર અને  અવ્યવસ્થા વ્યાપી ગયા છે. પોતે પ્રજાને આટલો બધો ચાહતો હોવા છતાં રાજ્યની સ્થિતિ કેમ આવી થઈ ગઈ હશે? કારણની તપાસ કરતાં જાણવા મળ્યું કે એના દરબારીઓ માત્ર ખુશામતખોરો બની ગયા છે. રાજાને રાજ્યની સાચી પરિસ્થિતિથી વાકેફ રાખતા નથી અને તેથી રાજ્યમાં અંધાધુંધી પ્રવર્તે છે.

રાજાએ વિચાર્યું કે આ દરબારીઓમાંથી કોઈ પ્રામાણિક વ્યક્તિને શોધવી જ પડશે. તો જ રાજકાજ બરાબર ચાલશે. 

એની પરખ કરવા માટે રાજાએ એક યુક્તિ અજમાવી. એણે દરબારના ચાર મુખ્ય દરબારીઓને બોલાવીને દરેકને બીજ, ખાતર અને એક-એક કૂંડુ આપ્યું અને તેમને કહ્યું કે, "તમે મારા માટે એક છોડ ઉગાડી લાવો.જેનો છોડ સૌથી સુંદર અને વધુ વિકસિત હશે,તેને હું મો માગ્યું ઇનામ આપીશ."

ચારે દરબારીઓ પ્રસન્ન થયા. એમને લાગ્યું કે આ તો સાવ આસાન કામ છે. માત્ર ખાતર અને પાણી નાખવાનું છે. વળી, જો બીજમાંથી સરસ મજાનો છોડ ઉગશે તો ઇનામ મળશે. સમગ્ર રાજ્યમાં આ વાત ચર્ચાનો વિષય બની ગઈ. 

ચાર-પાંચ મહિના બાદ આ દરબારીઓ પોતપોતાના કૂંડા લઈને દરબારમાં હાજર થયા.બધાના કૂંડામાં સુંદર છોડ ઉગ્યો હતો. માત્ર એક કૂંડામાં કશું ઉગ્યું ન હતું. રાજાએ કૂંડાના છોડને જોયા અને દરબારીઓની મહેનતની પ્રશંસા કરી. પરંતુ મો માગ્યું ઇનામ તો તેને આપ્યું કે જેના કૂંડામાં કોઈ છોડ ઉગ્યો ન હતો. સૌ આશ્ચર્ય પામ્યા.

રાજાએ હસીને કહ્યું, "મેં આપેલા બીજ પાણીમાં ઉકાળેલા હતા અને એ કોઈ કાળે ઉગી શકે તેવા નહોતા. બીજા બધાએ તો એ બીજની બાજુમાં બીજા બીજ નાખીને છોડ ઉગાડી દીધો પરંતુ એક વ્યક્તિ ઈમાનદાર નીકળી. રાજ્ય ચલાવવા માટે મારે આવા સાચાદિલ પ્રમાણિક માનવીની જ જરૂર હતી.એ રાજ્ય ક્યારેય પ્રગતિ કરી શકે નહીં કે જેના દરબારીઓ માત્ર રાજાની ખુશામત કરવામાં માનતા હોય અને એને ખુશ રાખવા માટે સાચા - ખોટા માર્ગો અપનાવતા હોય. મારે તો પ્રજાની ખુશાલીનો વિચાર કરી શકે તેવા પ્રમાણિક દરબારીની જ જરૂર હતી. જે મને આજે મળી ગયો."