♦ તમે સાગર બનશો કે નદી થશો? ♦

સુખદેવ ઋષિના તેજસ્વી શિષ્ય અનુજમાં ધીરે ધીરે શાસ્ત્ર-જ્ઞાનનો ગર્વ ઉભરાવા લાગ્યો. એ ગર્વપોષક નિમિત્તોની વચ્ચે અહર્નિશ રહેવા લાગ્યો. સમય જતાં એ સુખદેવ ઋષિના અન્ય શિષ્યોને હીન, અજ્ઞાની અને અલ્પ બુદ્ધિમાન સમજવા લાગ્યો.

સુખદેવ ઋષિએ જોયું કે જ્ઞાનનો અહંકાર પોતાના વિદ્વાન શિષ્યને અવળે માર્ગે લઈ જઈ રહ્યો છે. તેથી એક દિવસ એને સાચી સમજણ આપવા માટે સાગરના કિનારે લઈ ગયા. 

ગુરૂએ પોતાના શિષ્ય અનુજને કહ્યું , "કેવો છે આ સાગર ? પ્રિય શિષ્ય, એના જળનું થોડું આચમન કરો."

જ્ઞાની અનુજે સાગરજળને મોંમાં લેતા જ મોઢું બગાડીને એ પાણીનો કોગળો કરી નાખ્યો અને કહ્યું, "અરે ! ગુરૂજી, આ સાગરનું પાણી તો કેટલું બધું ખારું છે ! મારા મુખનો સ્વાદ બગડી ગયો. આવા પાણીનો શો અર્થ ?"

સુખદેવ ઋષિએ હળવું હાસ્ય કરીને શિષ્યને કહ્યું , "ચાલ જરા આગળ
જઈએ." બંને એક નદી પાસે આવ્યા. ગુરૂએ શિષ્ય અનુજને કહ્યું , "જરા નદીના
જળનું તો આચમન કરી લે."

અનુજે નદીનું પાણી લઈને પીધું.તે શીતળ અને મીઠું લાગ્યું.એણે કહ્યું પણ ખરું, "પાણી તો સર્વત્ર છે પણ સાગરનું કેવું અને નદીનું કેવું !"

ગુરૂએ કહયું, "શિષ્ય, સાગર એ અહંકારનું રૂપ છે. એ બધું જ પોતાનામાં ભરી રાખે છે, તેથી એનું જળ કેવું ખારું છે ! એ કોઈના કશાય ઉપયોગમાં આવતું નથી, જયારે નદી એનું પાણી વહેંચે છે, એ ખેડૂતને આપે છે અને પનિહારિઓને પણ આપે છે. એનાથી અનાજ ઉગે છે અને લોકોના પેટ ઠરે
છે. એને કારણે એના જળમાં મીઠાશ છે. વ્યકિતએ અહંકારને પોતાની પાસે
ફરકવા દેવો જોઈએ નહિ,નહિ તો એની હાલત પોતાનામાં જળ સમાવતા
સાગર જેવી થશે. એણે નદીની જેમ વહેતા, હરતાં–ફરતા અને સહુને ઉપયોગી
બનતા રહેવું જોઈએ."