♦ શુદ્ધ ભાવનાનું ફળ ♦

એક મંદિર હતું.

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો...

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી...

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે 'તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.'

પેલાએ કહ્યું, "સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!"

ટ્રસ્ટી કહે, "સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં..."

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી.

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે 'તમે મંદિરમાં આવો.'

એ ભાઈએ જવાબ આપ્યો, "હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં."

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે 'મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું. અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે..."

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ.

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી.

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ...

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, "સાહેબ સહીં તો બાકી છે."

માલિક કહે, "મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે..."

આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, "સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત...!!!"

તો પેલા શેઠે હસીને કહ્યું,
"ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત."

★ સારાંશ :-

કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ  શુદ્ધ હશેને, તો  ઇશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે.