♠ સંબંધોની શ્રીમંતાઇ ♠


આજે આપણે એક સાચી બનેલી ઘટનાની વાત કરીએ કે જે જાપાનમાં બનેલ એક સાચી કહાણી છે. ત્યાં ઘરનું સમારકામ ચાલી રહ્યું હતું અને એ વખતે એક દીવાલને તોડવામાં આવી. જાપાનના ઘરોમાં લાકડાની દીવાલો વચ્ચે પોલાણ હોય છે. જેને અંગ્રેજીમાં ર્લ્લનર્નુ જીૅચબી કહેવામાં આવે છે. આ દીવાલ તોડતી વખતે એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના બની. ત્યાં દીવાલ પર એક ગરોળી ચીટકેલી હતી. કારણ કે તેના પગમાં એક ખીલી ઠોકાઈ ગઈ હતી. ઘરના માલિકને આ જોઈને દયા આવી. બારીકાઈથી જોતાં ઘર માલિકને જણાયું કે આ ખીલી દસ વર્ષ પહેલાં જ્યારે આ ઘર બંધાવ્યું ત્યારની હતી. આ જોઈને તેને ખૂબ નવાઈ લાગી. આ દસ દસ વર્ષ સુધી આ ગરોળી જીવતી શી રીતે રહી શકી? દીવાલના પોલાણમાં આ ગરોળી દસ વર્ષ સુધી જીવતી રહી એ એક માન્યામાં ન આવે અને મનને ચકરાવે ચડાવે તેવી જ વાત હતી. ગરોળી એક ડગલું પણ ભરી શકે તેવી ન હોવા છતાં શી રીતે ટકી શકી?

મકાન માલિકે પોતાનું કામ અટકાવી દીધું. એને આ ગરોળી કઈ રીતે જીવી રહી એ નિરીક્ષણ કરવામાં રસ હતો. ગરોળી શી રીતે ખોરાક મેળવતી હશે? તેણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને જે જોયું અજાયબીમાં ગરકાવ તો થયો જ પરંતુ લાગણીવશ થઈ ગયો. ગરોળી જે ખીલી વાગવાથી ત્યાં જડાઈ ગઈ હતી તેની પાસે બીજી ગરોળી આવી અને તેણે પેલી ગરોળીને ખાવા ખોરાક આપ્યો. આમ દશ વર્ષના લાંબા અને કપરા કાળ દરમ્યાન થાક્યા વિના પોતાના જીવનસાથીની જીવવાની આશા છોડયા વિના તે અવિરત કામ કરતી રહી. કોઈ પણ અપેક્ષા વિના નિઃસ્વાર્થપણે કામ થતું રહ્યું.

એ વિચારો કે ગરોળી જેવું પ્રાણી પણ કેવી બુધ્ધિમત્તા અને લાગણી ધરાવે છે. ગરોળી જેવું પ્રાણી જે કરી શકે છે તે આપણે કેમ ન કરી શકીએ?

બાળમિત્રો, તમારા પ્રિયજનોને કદી તરછોડશો નહી. જ્યારે તેમને તમારી ખરી જરૃર હોય ત્યારે ''મારી પાસે સમય નથી'' એમ કહી તેમની તરફ બેદરકાર બનશો નહીં. તમારી પાસે ભલે સમગ્ર દુનિયાનું સુખ હોય, સમૃધ્ધિ હોય પણ તેમને માટે તો તમે જ તેમની દુનિયા  છો, તમેજ સર્વસ્વ છો. અનેક કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જેમણે તમને ચાહ્યા છે, જેમણે તમને લાગણીથી નવરાવ્યા છે. તેમનું હૃદય ઉપેક્ષાથી ભાંગીને ભુક્કો થઈ જશે. કાંઈ પણ કહેતા પહેલાં યાદ રાખજો કે સંબંધો એક પળમાં ધરાશયી થઈ શકે છે પણ સંબંધોને બંધાતા વર્ષો લાગે છે.

- સૌજન્ય '' ગુજરાત સમાચાર ''