♦ ઉપદેશ અને આચરણ ♦

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એક કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપતા હતા.તે સમયનો એક પ્રસંગ છે. 

એકવાર એક ધનવાન માણસ તેના પુત્રને લઈને ડૉ.રાધાકૃષ્ણન પાસે આવ્યા અને કહ્યું ,"સાહેબ મારો આ પુત્ર કોલેજમાં અભ્યાસ કરે છે. ભણવામાં ખૂબ હોશિયાર છે પણ તેને ચા પીવાનું એક વ્યસન છે.તેનું ચાનુ વ્યસન આપ છોડાવો. " 

ડૉ.રાધાકૃષ્ણને કહ્યું, " 20-25 દિવસ બાદ આવો ત્યારે તેને ચા નહીં પીવા હું સમજાવીશ."

20-25 દિવસ બાદ પેલા ધનવાન ડૉ. રાધાકૃષ્ણન પાસે આવ્યા. તેનો પુત્ર પણ તેની સાથે જ હતો. ડૉ.રાધાકૃષ્ણને માત્ર એટલું જ કહ્યું , " અતિ સર્વત્ર વર્જયેત." અર્થાત કોઈપણ વસ્તુનો અતિરેક કરવો જોઈએ નહીં. તું ચા પીવાનું છોડી દે. "

તે યુવાને વચન આપ્યું કે, " જીવનમાં ક્યારેય હવે તે ચા પીશે નહીં."

યુવાનના પિતાએ ડોક્ટર રાધાકૃષ્ણનને પૂછ્યું ,"અમે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે જ આપે મારા પુત્રને ચાનું વ્યસન છોડી દેવા માટે શિખામણ કેમ ના આપી ? "

ડૉ. રાધાકૃષ્ણન બોલ્યા, "એ વખતે મને પણ ચાનુ વ્યસન હતું. હું ચા પીઉં અને બીજાને ચા નહીં પીવાનો ઉપદેશ આપું. એ વાત યોગ્ય નથી."

ઉપદેશ આપવાનું શ્રેષ્ઠ માધ્યમ આચરણ છે.ઉપદેશ આપવો સરળ છે પણ એ ઉપદેશનો અમલ કરવો કઠિન છે.

આપણે વહેલા ઉઠવાનો ઉપદેશ બીજાને આપીએ અને આપણે પોતે જ મોડા ઉઠીએ , આપણે સાચું બોલવાનો ઉપદેશ આપીએ અને આપણે પોતે જ ખોટું બોલીએ તો આવા ઉપદેશની બીજા પર કોઈ અસર થતી નથી.

એમ,આચરણ વિનાનો ઉપદેશ નકામો છે.